Last Updated on March 5, 2021 by
14મી વિધાનસભા સત્રનો ચોથો દિવસે ગૃહમાં હંગામો મચ્યો હતો. સત્તાધારી પક્ષ અને વિપક્ષે આરોપબાજી કરીને દિવસ પસાર કર્યો હતો. વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકારને એવો ટોણો માર્યો કે, વાઇબ્રન્ટ ગુજરાત જેવા તાયફા કરીને સરકારે કરોડોનુ આંધણ કર્યુ હતું પણ કોરોના કાળમાં જેનાથી લોકોના જીવ બચાવી શકાય તેવુ માસ્ક પણ લોકોને સરકારે મફતમાં આપ્યુ નહીં. વિપક્ષે આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરી હતી પણ બહેરાકાને અથડાઇ હતી.

સાહેબ,સવા સો કરોડ જનતાનો સવાલ છે….ગૃહમાં હાસ્ય રેલાયું
ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ સિંગતેલના ભડકે બળતા ભાવ મામલે સવાલ તો ઉઠાવ્યો હતો પણ તેમની જીભ લપસી હતી. તેમણે ગુજરાતની સવા સો કરોડની જનતાને સ્પર્શતો સવાલ છે તેવુ કહેતાં જ ગૃહમાં હાસ્ય રેલાયુ હતું. નાણામંત્રી નીતિન પટેલે સવા છ કરોડ કહીને કોંગ્રેસના ધારાસભ્યની ભૂલ સુધારી હતી.

એ મંત્રી બન્યાં નથીને, એટલે એમને ખબર નથી…
ખેડૂત ખાતેદારને લઇને વિપક્ષે પૂછેલાં પ્રશ્નને લઇને કૃષિ મંત્રી આર.સી.ફળદુ ગોટે ચડયા હતાં કેમકે, અમિત ચાવડા,શૈલેષ પરમાર અને પરેશ ધાનાણીએ તો ખેડૂત ખાતેદારની ગણતરીને લઇને પેટા સવાલોનો મારો ચલાવ્યો હતો.એટલું જ નહીં, વર્ષ 10-11માં થયેલી ખેડૂત ખાતેદારની ગણતરી છેક વર્ષ 2014માં જાહેર થઇ હતી. આ મુદ્દો ઉઠાવતાં ફળદુએ કહેવુ પડયુ હતું કે,ભાઇ, આ ખૂબ ઝિણવટભર્યુ કામ છે.ત્યારે અધ્યક્ષ વચ્ચે બોલી ઉઠયાં કે, એ મંત્રી નથી બન્યાંને ,એટલે એમને ખબર નથી.

તેલની ગુણવત્તાનું નહીં, ભાવ વધારાનું પૂછો ને…..
સિંગતેલના ભાવ વધારોને લઇને ગૃહમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો રીતસરના આમને સામને આવી ગયા હતાં. તે વખતે ભાજપના મહિલા ધારાસભ્યએ પ્રેશ્રક ગેલેરીમાંથી પૂછ્યું,અધ્યક્ષ શ્રી,મારે એ જાણવુ છેકે,તેલની ગુણવત્તાની ચકાસણી કેવી રીતે થાય છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યએ ટિખળ કરી કે, તેલની ગુણવત્તાનુ નહીં, ભાવ વધારાનું પૂછોને….
નકલી ફાળિયા પહેરીને ફરતાં ખેડૂતોને લોકો ઓળખી ગયા છે
સિંગતેલના ભાવ વધારાને લઇને વિપક્ષના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુણાવી દીધુ કે,નકલી ફાળિયા પહેરીને ખેડૂત બનીને ફરનારાંને લોકો ઓળખી ચૂક્યાં છે. પ્રજાએ તમને પરચો આપી દીધો છે. તમારે પેટમાં દુખે છેને,માથુ કુટો છો.ખેડૂતોની આવક વધી છે તે વાત હકીકત છે.

હજુ તો ઘણી નાની ઉંમર છેને, લાંબી મજલ કાપવાની છે
ધારાસભ્ય પૂંજા વંશ પ્રશ્ન પૂછવા ઉભા થયાં ત્યાં ભાજપના ધારાસભ્યોએ બબળાટ કર્યોકે, તમારો તો પૂત્ર પણ ચૂંટણી હાર્યો છે. ત્યારે પૂંજા વંશે એવો સ્વિકાર કર્યોકે,હા,હું જાહેરમાં સ્વિકારૂં છું કે,મારો પુત્ર ચૂંટણી હાર્યો છે.પણ તમે તો જૂઠ બોલવાનુ બંધ કરો,અહંકારમાંથી બહાર આવો. તમે જે કઇં કરો છો તે બધુ સારૂ કરો છો તેવુ માનતા નહીં. અમે તો ગુજરાતની પ્રજાના પ્રશ્નો માટે મરતે દમ તક લડીશું..પૂજા વંશે તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંધવીને ત્યા સુધી કહી દીધુ કે, હજું તો ઘણી નાની ઉંમર છે.ઘણી લાંબી મજલ કાપવાની છે.થોડીક ધિરજ રાખો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31
